Thursday 16 August 2012

ચિલિકા સરોવર: એક અજાયબી ( ભાગ ૩ )


પહેલો ભાગ વાંચવા અહી ક્લિક કરો (પ્રથમ ભાગ)
બીજો ભાગ વાંચવા અહી કિલક કરો (દ્રિતીય ભાગ) 


રાત્રે ઝરમર વરસાદ પડેલો તેનો લાભ લઇ અમે લીલા વરસાદ ને ભીના હ્રદય થી માણતા થોડું ભીંજાયા હતા. ત્રીજે દિવસ ના પ્રભાત નું આગમન થયું ત્યારે આકાશ કાળા  ડીબાંગ વાદળો થી છવાયેલું હતું.  શીતલ પવન મંદ ગતિએ વાઈ રહ્યો હતો અને વાતાવરણ માં ફૂલ ગુલાબી ઠંડક પ્રસરેલી હતી.નજર સમક્ષ મંત્રમુગ્ધ થઇ જવાય તેવું દ્રશ્ય હતું.

કોઈ ચિત્રકારે સુંદર દ્રશ્ય દોરી રંગ ખૂટી જતા તેમાં ફક્ત બે જ રંગ પૂર્યા હોય  તેવું એક વિશાળ કુદરતી ચિત્ર નજર સમક્ષ ઉભું થયું હતું. આછા લીલા રંગનું તળાવ, રાખોડી રંગ ની ટેકરીઓ અને સમાનરંગી વાદળો થી પૂર્ણ રૂપે ઢંકાયેલું આકાશ. અહોભાવ પમાડે તેવું આ અલૌકિક દ્રશ્ય મન ને અપાર શાંતિ અર્પી રહ્યું હતું, પરંતુ અમારી મનોદશા થી તદ્દન વીપરીત ચિલિકા સરોવરનું સામન્યતય શાંત જળ અશાંતપણે ખળભળી રહ્યું હતું.

ચિલિકા સરોવર ને બંગાળ ના ઉપસાગર થી એક ત્રીસ કી.મી. લાંબો રેતીનો પટ્ટો અલગ પડે છે. તેના પર તદ્દન સ્વચ્છ અને નિર્જન દરિયા કિનારો છે, જે સ્વાભાવિક રીતે પર્યટકો માં બહુ ઓછો જાણીતો છે. અમારી આજની મંજિલ આ બીચ હતી. ખરાબ હવામાન ને કારણે બીચ પર જવા માટે અમે એક કલાક મોડા નીકળ્યા. 

સાનોકુડા ટાપુ થી આ બીચ સુધી જળ મુસાફરી ની અવધી એક કલાક ની હતી. દસેક મિનીટ ના પ્રવાસ બાદ અમારી હોડી હડસેલા લેવા માંડી. આ સમયે ચિલિકા સરોવરે પોતાનું સૌમ્ય રૂપ ત્યજી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંગાળ નો ઉપસાગર તોફાને ચડ્યો હતો અને તેની અસર અહી ચિલિકા સરોવર સુધી વર્તાઈ રહી હતી. સામાન્ય રીતે શાંત રહેતી સરોવર ની જળ સપાટી પર આજે નાના મોજા દેખાઈ રહ્યા હતા અને અમારી બોટ તેના પર ઉછળી રહી હતી. સરોવરનું પાણી ઉછળીને અમને હોડીની અંદર છાલક મારી રહ્યું હતું. બધા પગ થી માથા સુધી પલળી ગયા. હવા પુરપાટ ફૂંકાઈ રહી હતી અને સુરજ નદારદ હોવાને કારણે અંધકાર છવાઈ ગયો હતો.

ક્યારેક નૌકા એટલી જોશ ભેર ઉછળતી કે ઉથલીને બહાર પાણીમાં પડી જવાશે તેવો ભય લાગતો હતો. પેટ ચૂંથાઈ રહ્યું હતું અને મનમાં સતત ગભરામણ થઇ રહી હતી. એવામાં અમારા સહપ્રવાસી બે-ત્રણ બહેનો એ ગભરાઈને રાડારાડ શરુ કરી અને બોટ ને પાછી વાળવાની માંગણી કરી. સદભાગ્યે અમારા નૌકાચાલકે તેમની વાત પર ધ્યાન આપ્યું નહિ અને ઉછળતી કુદતી અમારી બોટ ને આગળ ધપાવતો રહ્યો. કદાચ તેમના માટે આ સામાન્ય બાબત હશે. 

અડધા કલાક સુધી આમ ચાલ્યું. ત્યારબાદ મુસાફરી છીછરા પાણીમાં હતી. પાણીની અંદર ઉગેલી સેવાળ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અહી ચોતરફ પાણીની મધ્યે ઉભા વાંસ રોપીને તેની વચ્ચે જાળ બાંધી માછલીઓ પકડવાની કોશિશ થઇ રહી હતી. સ્વયચલિત બોટ નું પ્રોપેલર જાળ માં ન ફસાઈ જાય તે માટે તેને આ વાંસડા ની વચ્ચેથી બહુજ નિપુણતાપૂર્વક  હંકારવી પડતી હતી. 

આખરે પાણી માત્ર ત્રણ ફૂટ જેટલું જ ઊંડું રહ્યું અને હોડી વધુ આગળ વધવાની સ્થિતિ માં ન રહી. છેવટે નૌકા ચાલક ની સાથે પાણીમાં ભૂસકો મારીને બોટને ધક્કો મારવો પડ્યો. જમીન પર ગાડીને ધક્કો ક્યારેક માર્યો છે પણ પાણીમાં ઉતરીને બોટને ધક્કો મારવાનો અનુભવ પહેલી વખત થયો ! સેવાળ થી ભરપુર તળિયા પર ઉઘાડા પગે ચાલતા અજીબ પ્રકારની અનુભૂતિ થઇ. બોટને ધક્કો મારી માંડ કિનારા ભેગી કરી. 

કિનારાથી ત્રણ કી.મી. ચાલતા જંગલની અંદર  પસાર થવાનું  હતું. જાતજાતના ઝાડ-પાન અને ફૂલોથી છવાયેલો લીલોછમ વિસ્તાર મનને પ્રફૂલ્લિત કરી દે તેવો હતો. બોટમાં ભોગવેલી હાડમારી પળભર માં  વિસરાઈ ગઈ. પ્રકૃતિના સાનિધ્ય માં બીચ સુધીનો ત્રણ કી.મી. નો રસ્તો સહજતાથી કપાઈ ગયો. બીચ પર પહોચ્યા ત્યાં સુધીમાં મોસમ તદ્દન બદલાઈ ગઈ હતી. સૂર્ય પૂરી શક્તિ થી તાપ વરસાવી રહ્યો હતો સમગ્ર બીચ નિર્જન હતો. પ્રદુષણરહિત સ્વચ્છ કિનારો અને નિર્મળ જળ. એક કલાક આનંદપૂર્વક નહાયા. 

સુધરેલા હવામાન ને કારણે પાછા ફરતી વખતે બહુ તકલીફ ન પડી. સાંજે ફરી વરસાદ પડવા માંડ્યો એટલે ફરવા જવાનું રદ કર્યું. વરસાદ બંધ થયા બાદ ટાપુ પર ફરી ને ઝાડની ખરી પડેલી સુક્કી ડાળો ભેગી કરી અને કિનારા પાસે કેમ્પફાયર નું આયોજન કર્યું. નકામી ડાળખીઓને આગ ચાપી તેની ફરતે કુંડાળું કરી બેઠા જુના-નવા ગીતો ગાતા અને ગપ્પા મારતા અમે મોજ પૂર્વક સાંજ વિતાવી.

આખી રાત ઝરમર વરસાદ વરસતો રહ્યો. ચોથા દિવસ ની સવારે હું  અમારા ટાપુને કિનારે એક પથ્થર પર બેઠો સરોવર ના બદલાતા રંગ-રૂપ માણી  રહ્યો હતો તે સમયે બે માછીમારો તેમની નાની અને સાવ સાદી એવી લાકડાની નૌકા તૈયાર કરી રહ્યા હતા. દૂર પાણીમાં વાંસ રોપીને તેમની વચ્ચે જાળ બાંધીને પાણીનો એક વિસ્તાર ઘેરી રાખવા માં આવ્યો હતો. અહી આવ્યા ત્યારથી માછલી પકડવાની આ રીત વિષે મને અતિશય કુતુહલ થઇ રહ્યું હતું, માટે માછીમારો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો. ભાષાની તકલીફ હોવાને કારણે તેઓ મને બરાબર સમજાવી શક્યા નહિ, પરંતુ એવજ માં તેમની સાથે હોડીમાં બેસીને તે પ્રક્રિયા નિહાળવાનું આમંત્રણ મળ્યું. આ બાબત મારું કુતુહલ પરાકાષ્ઠા એ પહોચ્યું હતું એટલે માછલીઓ પ્રત્યેની સુગ તથા તેમની ખખડધજ નૌકા પ્રત્યેના મારા ભય ને ત્યજી તેમની સાથે રવાના થયો. 

વાંસડા ની નજીક પહોચતા તેમની રીત મને સમજાવા માંડી. તેમણે દસ-બાર ફૂટ ઊંડા પાણીમાં તેટલીજ ઉંચાઈના વાંસ ને સરોવરના તળિયાની કુણી માટીમાં બે-ત્રણ ફૂટ ના અંતરે રોપી રાખ્યા હતા. દરેક વાંસ ની વચ્ચે તળિયાથી સપાટી સુધી જાળ બાંધીને પાણીની અંદર એક લાંબી દીવાલ ઉભી કરી હતી. આમ, પાણીની અંદર તરતા માછલાઓના રસ્તામાં અવરોધ ઉભો કર્યો હતો. માછલીઓને આગળ વધવાનો રસ્તો ન મળતા તે દિશા બદલીને દીવાલ ની લગોલગ આગળ વધે. આખરે દીવાલ માં દરવાજો મળતા તેમાં પ્રવેશ કરે.

તે દરવાજા ના મુખ પર ચાર વાંસ ની વચ્ચે જાળ બાંધીને ચોરસ પાંજરું બનાવેલું હતું. તેમાં ઉંદર ને પકડવા માટે વપરાતા પાંજરા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. માછલીઓ અંદર પ્રવેશી શકે પરંતુ બહાર ન નીકળી શકે. આવા પાચ-છ પાંજરા થોડા અંતરે ગોઠવેલા હતા. માછીમારો આવી વ્યવસ્થા કરી ચાલી જાય અને એક-બે દિવસ બાદ આવી પાંજરાઓ માંથી માછલી કાઢી લે. 

આ ચાર દિવસો માં બનેલી ઘટનાઓ અને દ્રશ્યો દિમાગ પર અમીટ છાપ છોડી ગયા છે. સુર્યાસ્ત સમયે રેલાયેલા રંગો, સૂર્યોદય વખત નું અલૌકિક દ્રશ્ય, લીલા અને રાખોડી રંગ નું અદભૂત કુદરતી ચિત્ર, હારબંધ ઉડીને હોડી ને જગા કરી આપતા પંખીઓ, પાણીમાં ભૂસકો મારીને બોટ ને ધક્કો મારવો, નલબન ટાપુ પર નરમ-ચીકણી માટીમાં ફસાઈ જવું...... વગેરે દ્રશ્યો અને ઘટનાઓ હૃદયમાં અંકાઈ ગયા છે. 

ચાર દિવસ રેડીઓટી.વીફોન અને છાપા વગર બહારની દુનિયાથી અજાણ ચિલિકા સરોવર ની અજાયબીઓ માં ખોવાયેલા રહ્યા. દુનિયામાં શું બની રહ્યું છે તેની રત્તીભર જાણ  ન હતી. સહુથી નજીક ની હોસ્પિટલ ૩૦ કી.મી. દૂર હતી. અનિવાર્ય સંજોગો અને ઓછા સમયને કારણે ચિલિકા માં ઘણું જોવાનું અને માણવાનું રહી ગયું. લગભગ એક હજાર એકસો ચોરસ કી.મી. ની આ અજાયબીને સમજવા-માણવા માટે ચાર દિવસો તદ્દન અપુરતા છે. 
                                                             (સંપૂર્ણ)
By Jasmin Rupani 



                                                 Protected by Copyscape Original Content Checker

Monday 13 August 2012

ચિલિકા લેક : પક્ષીઓનો કુંભમેળો ( ભાગ ૨)


પહેલો ભાગ વાંચવા અહી ક્લિક કરો (પ્રથમ ભાગ)

બીજે દિવસે વહેલી સવારે અમે નલબન આઈલેન્ડ જવા તૈયાર થયા. આકાશ સ્વચ્છ હતું અને સૂર્યોદય થવાની તૈયારી હતી. ગઈકાલે સુર્યાસ્ત સમયે આકાશ રક્તિમ થઇ ઉઠ્યું હતું, અત્યારે સૂર્યોદય સમયે તે સોનેરી રંગ ધારણ કરી રહ્યું હતું. સૂર્યોદય થયો ત્યારે અમે હોડીમાં બેસી રહ્યા હતા.

પ્રથમસૂર્યની સોનેરી કોર ક્ષિતિજમાં ડોકાઈ, અને સમય જતા સૂર્ય ના બે ગોળા નજર સમક્ષ દ્રષ્ટિમાન થયા  એક ક્ષિતિજ ની ઉપર અને બીજો તેની નીચે. હળવેક થી  બંને ગોળાઓ વચ્ચે અંતર વધવા માંડ્યું. પાણીમાં પ્રતીબીમ્બીત થઇ રહેલો ગોળો લંબાવા માંડ્યો  અને આખરે વિખરાઈ ને પાણીની સપાટી પર સોનેરી રજકણ બની છવાઈ ગયો. દૂર એક નૌકા સૂર્યને અડકતી પસાર થઇ રહી હાય તેવો ભાસ થયો. દિવસની શરૂઆત અભૂતપૂર્વ થઇ. 

૧૯૮૭ માં ચીલીકાને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. શિયાળામાં અહી વિવિધ પંખીઓની વણજાર આવે છે અને દુર્લભ પ્રજાતીના અનેક પક્ષીઓ જોવા મળે છે. આ સમયે અહી દસ લાખથી વધુ પક્ષીઓની હાજરી હોય છે અને તેમાં નલબન આઈલેન્ડ તો પક્ષીઓનું  નગર કહેવાય છે. 

ચિલિકા સરોવરમાં ઘણા ટાપુઓ છે પરંતુ નલબન તેની અનોખી વિશિષ્ટતા ને કારણે પક્ષીઓને આકર્ષે છે. તે નરમ અને સખત બંને પ્રકારની માટીનો બનેલો છે. ટાપુની આસપાસના વિસ્તારનું પાણી કાદવીયું અને છીછરું છે. અહી પાણીની અંદર તળિયામાં એક વિશિષ્ટ પ્રકારનું ઘાસ ઉગે છે. ઘાસનો ઉપલો ભાગ પાણીની બહાર નીકળેલો હોય છે. આ ઘાસ ને નલ કહે છે અને તેના પરથી ટાપુનું નામ નલબન પડ્યું છે.

આ ઘાસ નાના જળચરો નું ઘર છે,  જેમને આરોગવા મોટી માછલીઓ આવે, અને તે માછલીઓ પક્ષીઓનો ખોરાક બને. આમ કુદરતી ફૂડ ચેઈન બને છે. તે ઉપરાંત ટાપુની જમીન પર પણ આ જ ઘાસ ઉગે છે. તેમાં પંખીઓ પોતાનો માળો બનાવીને ઈંડા મુકે છે. આ બે કારણોસર નલબન ટાપુ પક્ષીઓનું મનગમતું રહેઠાણ બન્યો છે

નલબન સાનોકુડા ટાપુથી સત્યાવીસ કી.મી. દૂર આવેલું છે. અઢી કલાક ના જળપ્રવાસ દરમ્યાન અનેક પક્ષીઓ દેખાયા. પક્ષીઓ ના ઝુંડ માછીમારો ની હોડી ઉપર ખોરાક મળવાની આશા એ ચકરાવો મારી રહ્યા હતા. ઘણી જગ્યા એ પાણીની સપાટી પર સીધી પંક્તિમાં બેસેલા પંખીઓને જોઈ આશ્ચર્ય થયું. આ પક્ષીઓ પાણીમાં બતક ની જેમ તરતા હતા. પાછા ઉડે પણ એક પછી એક સીધી પંક્તિ માં. નાના ચકલી જેવા કાળા રંગના પંખીઓ બે-ચાર વખત પાંખ ફફડાવે અને ત્યાર બાદ જાણે હવામાં તરતા હોય તેમ પાંખ સ્થિર રાખી ઉડતા રહે. અમારી હોડી તેમની પાસે પહોચતા બધા પંખીઓ ઉડ્યા અને પળભર માટે સમગ્ર આકાશ નાના બિંદુઓથી છવાઈ ગયું. 

ચિલિકા સરોવર બંગાળના ઉપસાગર સાથે જોડાયેલું હોવાથી તેની વિશિષ્ઠતા એ છે કે તે મીઠું અને ખારું બંને પ્રકાર નું બ્રેકીશ પાણી ધરાવે છે. આ વિશિષ્ઠતા ને કારણે મીઠા અને ખારા એમ બંને પ્રકારના પાણીના જળચરો,  જે સામાન્ય સંજોગોમાં કદી સાથે જોવા ન મળે, તે  અહી જોવા મળે છે. આ કારણસર અહી જળચરો નું વિપુલ વૈવિધ્ય છે. 

નલબન પાસે પાણી છીછરું અને કાદવિયું હતું. પાણીની અંદર ઉગેલું નલ-ઘાસ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઘણા સ્થાને ઘાસ પાણીની બહાર ડોકિયા કાઢી રહ્યું હતું. ટાપુની નજદીક પહોચતા બોટનું મશીન બંધ કરી તેને વાંસ દ્વારા હલેસા મારી હંકારવી પડી.

નલબન ટાપુ પર અને તેની આસપાસના જળમાં કઈ પણ ફેકવાની સખત મનાઈ છે. આ વિસ્તાર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ની હેઠળ છે. 

નલબન પર પગ મુક્તા થોડી નિરાશા થઇ. અમારી ધારણા કરતા પંખીઓ ઓછા હતા. ચીલીકાના બીજા ટાપુઓ કરતા તદ્દન ભિન્ન આ ટાપુ સપાટ છે અને ભીની તથા સુક્કી માટીનો બનેલો છે. અહી પક્ષીઓ નિહાળવા હેતુસર  એક ટાવર બનાવવામાં આવ્યો છે. તેને બાદ દેતા સપાટ ટાપુ પર બીજું કઈ નહિ. ટાવર પરથી પક્ષીઓને જોવા માટે શક્તિશાળી દૂરબીન જોઈય્રે, જે અમારી પાસે ન હતું માટે અમે પંખીઓની સમીપ જઈ તેમને નિહાળવાનો નિર્ણય લીધો.  

પક્ષીઓ અલગ અલગ જૂથ માં બેઠા હોય અને તેમની નજદીક જતા ઉડી જાય. અમે ઉત્સાહ માં આવી પંખીઓ નો પીછો કરતા ઘણે આગળ નીકળી ગયા અને ટાપુની નરમ માટી માં ફસાઈ ગયા. નરમ, ચીકણી અને કાળી માટીમાં પગ ઊંડા ઉતરતા જાય અને જોર કરતા પગ બહાર આવી જાય પણ જૂતા અંદર રહી જાય! જેમ તેમ કરીને એક પગ બહાર કાઢીએ ત્યાં બીજો પગ વધુ ઊંડો ઉતરતો જાય! મહામુશીબતે અમે તે ચીકણી માટીની પકડ માંથી છૂટ્યા. કાળી માટી થી ખરડાયેલા અમે બોટમાં બેઠા ત્યારે મનમાં મિશ્ર લાગણીઓ ઉત્પન્ન થઈ. પક્ષીઓની પાંખી હાજરીને કારણે મનમાં વિષાદ હતો અને જેટલું જોયું અને માણ્યું તેનો આનંદ પણ હતો. 

નલબન થી પાછા ફરતી વખતે રસ્તા માં કાલીજાઈ ટાપુ આવતો હતો, તેની મુલાકાત લીધી. અહી કાલીજાઈ દેવી નું મંદિર છે. ચિલિકા લેક ના માછીમારો અને માંઝી કાલીજાઈ પર અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. કાલીજાઈ ટાપુ પાસેથી પસાર થતા તેમના હાથ નમસ્કાર રૂપે અચૂક જોડાઈ જાય. કાલીજાઈ વિષે અહીના લોકો માં એક લોકવાયકા છે. કહેવાય છે કે રાજા ભાગીરથી માનસિંગ ના રાજ્યકાળ દરમ્યાન એક સમયે ખુર્દા ના રાજાએ તેની વિરુદ્ધ યુદ્ધ ઘોષિત કર્યું હતું. ભાગીરથી માનસિંગ પાસે ખુર્દા ના રાજા જેટલું વિરાટ સૈન્ય ન હતું એટલે તેણે નિશ્ચિત પરાજય થી બચવા કાલીમાતા ને પ્રાર્થના કરી. 

બન્યું એવું કે, યુદ્ધ ના આરંભ પહેલા ખોરાકની આશામાં મોટી સંખ્યામાં સુરખાબો આવી પહોચ્યા. લાંબા અને ભવ્ય એવા સુરખાબોને દૂરથી જોતા ખુર્દાનો રાજા તેમને માનસિંગ નું લશ્કર સમજ્યો. તેને લાગ્યું કે આટલા વિરાટ સૈન્ય સામે જીતવું શક્ય નથી, માટે તે હતાશ થઇ પાછો ફરી ગયો. ભાગીરથી માનસિંગ નિશ્ચિત પરાજય થી બચી ગયો. તેના સમગ્ર રાજ્ય માં આ ઘટના અભૂતપૂર્વ  ગણાઇ અને કાલીજાઈ ના ચમત્કાર રૂપે પ્રચલિત થઇ. ત્યારથી અહી કાલીજાઈ ની પૂજા થાય છે.

પાછા ફરતી વખતે ફરી સીધી રેખામાં તરતા પેલા પક્ષીઓ જોયા.અમારી નૌકા તેમની નજીક પહોચતા તે રેખાના મધ્ય ભાગ માંથી એક પક્ષી ડાબી તરફ અને તેની પાસે બેસેલું બીજું પક્ષી જમણી તરફ ઉડ્યું અને તેની પાછળ એક પછી એક પક્ષીઓ કતારબદ્ધ ઉડવા માંડ્યા. અમારી હોડી સામે  કોઈ ગઢ નો દરવાજો  ઉઘડતો હોય તેવું મનોહર દ્રશ્ય સર્જાઈ ગયું. 

ટાપુથી બે કી.મી. દૂર અમારી યંત્ર સંચાલિત હોડીનું બળતણ ખૂટી ગયું. જમીન પર અધરસ્તે વાહન નું ઇંધણ ખૂટી જાય તો ધક્કો મારીને અથવા ક્યાંકથી બળતણ લાવીને તેને આગળ ધપાવાય, પરંતુ અહી પાણીની મધ્યે શું કરી શકાય. સદભાગ્યે પાસેથી એક બીજી બોટ પસાર થઇ રહી હતી, તેને થોભાવી તેની સાથે દોરડા વડે બંધાઈ અમારી હોડી કિનારે પહોચી. 

સાંજે બ્રેકફાસ્ટ આઈલેન્ડ અને તેની આસપાસ ફરવા જવાનો કાર્યક્રમ હતો, પરંતુ રંભા થી બળતણ આવતા મોડું થયું અને અંધારું થતા ફરવા ન જઈ શકાયું.  બ્રેકફાસ્ટ આઈલેન્ડ માં કાલીકોટે ના રાજા ના બંગલાના ભગ્નાવેષ  છે. આ ટાપુ પર દુર્લભ ગણાતા ઝાડ-પાન ઉગે છે.

અમે કિનારે બેઠા સુર્યાસ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા. પડછાયા લાંબા થઇ રહ્યા હતાવાતાવરણ ખુશનુમા હતું. ચોતરફ ટેકરીઓથી ઘેરાયેલું ચિલિકા, વાદળ અને સૂર્યની સ્થિતિ પ્રમાણે રંગ બદલી રહ્યું હતું. દુર્ભાગ્યે ગઈ સાંજ ની પરિસ્થિતિ નું પુનરાવર્તન થયુંઆજે પણ સુર્યાસ્ત ન જોઈ શક્યા. 

રાત્રે પ્રદુષણ અને પ્રકાશ રહિત વાતાવરણ ને કારણે આકાશ કાળું ડીબાંગ અને સ્વચ્છ દીસી રહ્યું  હતું. તેમાં શ્યામ રંગી ચૂંદડીમાં ચમક્તા આભલા ની જેમ ઉજ્જવળ તારલા પ્રકાશી રહ્યા હતા. 
                           
                           ત્રીજો ભાગ વાંચવા અહી ક્લિક કરો (ત્રીતીય ભાગ) 

By: Jasmin Rupani


                        Protected by Copyscape Original Content Checker 

Friday 10 August 2012

ચિલિકા લેક - પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓનું સ્વર્ગ - (ભાગ ૧)



રિસ્સા નું નામ પડે એટલે પૂરી નો રળિયામણો દરિયા કિનારો. કોણાર્ક મંદિર અને ચિલિકા લેક સાંભરી આવે. 

ચિલિકા લેક ઓરિસ્સા ના સમુદ્રી જીલ્લા પૂરી ના હાર્દ માં આવેલું છે,અને તે એક તરફ મહાનદી અને બીજી તરફ બંગાળ ઉપસાગર થી જોડાયેલું છે. દેશ નું સહુથી મોટું અને દુનિયા ભર માં બીજા સ્થાને આવતું ખારા પાણી નું સરોવર ચિલિકા, જેને સરોવર કહેતા સંકોચ થાય, તે અધધધ થઇ જવાય તેટલો અગિયાર સો ચોરસ કિલોમીટરનો વિરાટ ફેલાવો ધરાવે છે.લગભગ પાંસઠ કી.મી. લાંબુ આ સરોવર જળચરોનું વિપુલ વૈવિધ્ય ધરાવે છે અને શિયાળામાં એક સો સાઈઠ જાતના, અંદાજે દસ લાખ વિદેશી પક્ષીઓનું અસ્થાયી ઘર બને છે. તેમાં ના ઘણા પક્ષીઓ વિવિધ પ્રદેશ થી લગભગ બાર હજાર કી.મી. ની મુસાફરી કરી ચિલિકા પહોચે છે. શિયાળા ના બે મહિના માટે ચિલિકા લેક આ રંગબેરંગી પક્ષીઓ માટે ભારતીય ઉપખંડ નો સહુથી મોટો વિન્ટર રિસોર્ટ બની જાય છે. 

ચિલિકા સરોવર કુદરતી સૌન્દર્ય ના ચાહકો ને અભિભૂત કરી દેવા માટે સપૂર્ણ પણે સક્ષમ છે.સુર્યાસ્ત સમયે કેસરિયા રંગે રંગાયેલું આકાશ, મન ને પુલકિત કરી દે તેવી ચોતરફ છવાયેલી લીલોતરી, કલરવ કરતા ગગન માં મુક્ત વિહરતા રંગબેરંગી પંખીઓ, કાંઠા ના છીછરા પાણી માં દેખા દેતા વિવિધ જળચરો, સરોવર માં તરતી માછીમારોની છુટ્ટી છવાઈ નૌકાઓ..... આ દ્રશ્યો અદભૂત હોય છે. વહેલી સવારે સૂર્યોદયનું દ્રશ્ય આંખોને ઉલ્લાસથી તરબતર કરી મુકે છે.

વર્ષો થી ચિલિકા સરોવર પર્કૃતિ અને પક્ષી પ્રેમીઓની સાથે જીવવિજ્ઞાનીઓ, ભૂસ્તરશાસ્ત્રીઓ, સમુદ્રવિજ્ઞાનીઓને આકર્ષતું રહ્યું છે. પ્રકૃતિના ઉપહાર સમા આ સરોવરને સંરક્ષણ આપવાના હેતુ તેને અંતરરાષ્ટ્રીય મહત્વ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે લગભગ બસો પચીસ જાતની માછલીઓ અને એક સો સાઈઠ જાત ના પંખીઓનું ઘર છે, જેમાં ઇરાવાડી ડોલ્ફિન અને સુરખાબ બહુજ મહત્વ નું સ્થાન પામે છે. ઉપરાંત અહી સાતસો વીસથી વધારે ઝાડપાન ની જાતો છે. રંગબેરંગી માછલીઓથી છલકાતું ચિલિકા સરોવર લગભગ દોઢ લાખ માછીમારોને નિભાવે છે.

ચિલિકા ની દક્ષીણ દિશામાં હરિયાળી ટેકરીઓ અને ઉત્તર-પૂર્વ દિશામાં બંગાળ નો ઉપસાગર આવેલો છે. આ વીશાળ સરોવર પર્યટકો માં બહુ પ્રચલિત છે પણ મોટા ભાગના પર્યટકો તેના લગભગ નિર્જન દક્ષીણ ભાગ થી અજાણ છે. પૂર્વીઘાટની ટેકરીઓથી ઘેરાયેલું દક્ષીણ ચિલિકા અનેક લીલાછમ ટાપુઓથી છવાયેલું છે. આમારી મંજીલ દક્ષીણ ચીલીકામાં આવેલ એક ટચુકડો દ્વીપ સાનોકુડા હતી. કિનારા થી સાત કી.મી. દૂર આવેલ આ ટાપુ પર્યટકો માં તદ્દન જાણીતો નથી.

કલકત્તાથી દક્ષીણ ચિલિકા જવા માટેનું સૌથી નજીક નું સ્ટેશન બાલુગાન છે. સવારે છ વાગ્યે અમે સ્ટેશન પર ઉતર્યા ત્યારે અંધારું હતું. અહી થી ત્રીસ કી.મી દૂર ગાડી દ્વારા રંભા નામના એક નાના ગમે પહોચવાનું હતું અને ત્યાં થી મોટર બોટ દ્વારા સાનોકુડા ટાપુ.

બાલુગાન થી રંભા જવાનો ઉંચો નીચો રસ્તો આપેક્ષા વિરુધ્ધ સારો નીકળ્યો. આ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું મથક આઈ.એન.એસ. ચિલિકા આવેલ છે, તે ઉપરાંત વાયુસેના અને મિસાઈલ ડીફેન્સ ના ઓછા જાણીતા પ્રોજેક્ટો પણ છે. કદાચ તે કારણસર રસ્તો સુંદર હતો. એક ઊંચા સ્થળે ગાડી થોભાવી ઉગતા સૂર્ય ના મૃદુ પ્રકાશ માં નહાયેલ ચિલિકા તળાવ ના દૂર થી દીદાર કર્યા અને આફરીન થઇ જવાયું.

રંભા ચિલિકા ના દક્ષીણ કિનારે આવેલું એક નાનું ગામ છે. ત્યાંથી અમે મોટર બોટ માં સવાર થઈ સાત કી.મી. દૂર આવેલા સાનોકુડા દ્વીપ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ આછા લીલા રંગ નું પાણી અને તેના પર છુટાછવાયા ટાપુઓ અને ટેકરીઓ. કિનારા પાસે પાણી છીછરું હતું, તેમાં એક તરફ ઉભા વાંસડા નાખી તેની વચ્ચે જાળ બાંધી અમુક વિસ્તાર ને ઘેરી રાખ્યો હતો. તેમાં ઝીંગા, જે અંગ્રેજી માં પ્રોન ફીશ કહેવાય છે, તેનો ઉછેર કરવા માં આવી રહ્યો હતો. આ પધ્ધતિ ને મત્સ્ય-ઉછેર એટલે કે ફીશ ફાર્મિંગ કહેવાય છે.


અડધા કલાક ની મુસાફરી બાદ અમે સાનોકુડા ટાપુ પર પહોચ્યા. અહી રહેવા માટે તંબુઓ બાંધ્યા હતા. ટાપુ પર ની આ જગ્યા સાગા એકવા એડવેન્ચર નામની કંપની એ સરકાર પાસેથી કરાર પર લીધેલી છે. કંપની નો મૂળ ધંધો મોટર બોટ નું માળખું બનાવવાનો છે. કંપની ના ચાર ડાયરેક્ટરોમાના એક સોમનાથ ચક્રવર્તીનો અપૂર્વ કુદરત પ્રેમ આ ટાપુ ના ઇકો કેમ્પ માટે જવાબદાર છે. પોણા ભાગ નું જીવન મર્ચન્ટ નેવી માં વિતાવનાર સોમનાથ ચક્રવર્તીએ નિવૃત થયા બાદ ત્રણ ભાગીદારો સાથે હોડી નું માળખું બનાવતી કંપની સ્થાપી. એકદિવસ અનાયાસે તેઓ સાનોકુડા ટાપુ પહોચ્યા અને મગજ માં અહી ઇકો લોજ સ્થાપવાનું બી રોપાયુ અને સાગા ઇકો કેમ્પ નો જન્મ થયો.

સાગા ઇકો કેમ્પ અંતરરાષ્ટ્રીય ઇકો ટૂરિસમ ક્લબ નું સભ્ય છે. અહી પર્યાવરણ જાળવવા માટેના બધાજ નિયમોનું કડકાઈપૂર્વક પાલન થાય છે. પશુ પક્ષીઓ ને કોઈ પણ જાત ની અગવડતા ન થાય તેનું ધ્યાન રાખવું, પ્લાસ્ટિક
ની બોતલ સહીત કોઈ પણ જાત ના કચરાનો નિર્ધારિત જગ્યાએ જ નિકાલ કરવો, વાયુ, ધ્વની અને જળ પ્રદુષણ ન થાય તેની પૂરી તકેદારી રાખવી, વગેરે નિયમો નું શિસ્તબધ્ધ રીતે પાલન કરવા માં આવે છે. માછલી પકડવા સિવાય બીજી કોઈ રીતે પ્રકૃતિ ને છંછેડવાની રજા નથી. રહેવા માટેની દોઢસો બાય સો મીટર ની જગ્યા બાદ દેતા આખો ટાપુ કુદરતી અવસ્થા મા રાખવામાં આવ્યો છે. એ જગ્યા રહેવા અનુરૂપ કરવા જતા જેટલી વનસ્પતિ નષ્ટ થઇ તેનાથી બમણી બીજી તરફ ઉગાડવામાં આવી છે. 

બોટ માંથી લાકડા ની જેટ્ટી પર પગ મુકતા ની સાથે અલગ પ્રકાર નો રોમાંચ અનુભવ્યો. લાલ અને વાદળી રંગ ના તંબુઓ, તેની ફરતે તેની ફરતે સોળે કળાએ ખીલેલી લીલોતરી અને ચારે દિશાઓ માં પાણી! ચારે તરફ કુદરતનાં કામણ !

તંબુ માં સામાન્ય સુવિધાઓની સાદી પરંતુ સુંદર સગવડ હતી. સાદો પલંગ, ચાદર,મચ્છરદાની અને બાથરૂમ સાથે પાણી ની પણ સગવડ હતી. તંબુની અંદર એક ખૂણા ને કપડાની દીવાલ દ્વારા અલગ કરીને તે ભાગ ને બાથરૂમ તરીકે ઉપયોગમાં લેવાયો હતો. ટાપુ પર એક જનરેટર હતું જે ફક્ત રાત્રે બે-ત્રણ કલાક માટે ઉપયોગ માં લેવામાં આવતું હતું.

વીજળી, ટેલીફોન, છાપા અને રેડીઓ વગર ની આ દુનિયા હતી એટલે બીજું કઈ કરવાનું ન હતું માટે તુરંત લગભગ એક કી.મી નો વિસ્તાર ધરાવતા આ બેટ પર લટાર મારવા નીકળ્યા. ટાપુના પાછલા ભાગમાં નાનું જંગલ હતું. તેની અંદર કેડીઓ પર ચાલતા, ક્યારેય ન નિહાળ્યા હોય તેવા જંગલી ઝાડપાન અને કેટલીક દુર્લભ વન્યસૃષ્ટી એ અમારું સ્વાગત કર્યું. કાજુ ના ઝાડ પણ હતા. કાજુ ઉગ્યા ન હતા પરંતુ તેના ઝીણા ફૂલોને સુંઘતા કાજુ જેવી જ સુગંધ આવી.


અહીના ટાપુઓ માં કાજુ વિપુલ પ્રમાણ માં ઉગે છે. અગાઉ એવું ન હતું. અહીના અભણ રહેવાસીઓ પોતાનું ગુજરાન ચલાવવા આડેધડ વૃક્ષો કાપીને વેચી આવતા. વન્યસૃષ્ટી ને નષ્ટ થતી રોકવા વનવિભાગે અહી કાજુના વૃક્ષો ઉગાડવાનું શરુ કર્યું અને તે માસ્ટર સ્ટ્રોક પુરવાર થયો. લાંબે ગાળે કાજુ વેચવાથી થતી કમાણી સંપૂર્ણ વૃક્ષ ને એક વાર વેચતા થતી કમાણી કરતા વધુ હોવાથી સમય જતા વૃક્ષો કપાતા બંધ થયા અને વનવિભાગ વન્યસૃષ્ટી નું સંરક્ષણ કરવા માં સફળ રહ્યું  છે.

જંગલમાં જમીન પર કરોળિયાના વિરાટ ઝાળા જોયા.આ ઝાળા સામાન્ય ઝાળા કરતા વધારે ઘટ્ટ અને દેખાવે રૂ જેવા હતા. ઝાળા પર મોતી જેવા ઝાકળબીન્દુઓનું આવરણ પથરાયેલું હતું કારણે 
તે દૂરથી સફેદ રૂ જેવા દેખાતા હતા. એક વૃક્ષ ના કપાયેલા થડ માં અસંખ્ય ઉધાઈઓ ખદબદી રહી હતી. 

બાળકો માટે વિવિધ પ્રકાર ના ફૂલો ને ભેગા કરવાની હરીફાઈ રાખેલી એટલે તેઓ જમીન પર પડેલા ફૂલો એકઠા કરવા માં મશગુલ હતા. ફક્ત જમીન પર ખરી પડેલા ફૂલો ને જ એકઠા કરવાની પરવાનગી હતી. ડાળ પરથી ફૂલો તોડવાની રજા ન હતી. જોતજોતામાં બાળકોએ અચંબો પામી જવાય તેટલી સંખ્યા માં વિવિધ પ્રકાર ના ફૂલો એકઠા કર્યા.

જંગલ માં સાપ કે તેના જેવા જીવો નો ભેટો થઇ શકે છે અને એવું થાય તો તેમને છંછેડવા નહિ તેવું અમને કહેવામાં આવ્યું હતું. આ તેમનું ઘર છે અને અમે મહેમાન છીએ તે વાત યાદ રાખવાનું કહેવામાં આવ્યું હતું. અમે કહ્યા વગર પણ તેમને છંછેડત નહિ પણ તેઓ અમને છંછેડે તો અમારે શું કરવું તેની કોઈ સુચના અપાઈ ન હતી. અમારા સદનસીબે એવા કોઈ ઝેરી યજમાન નો ભેટો થયો નહિ.

શહેર ના રહેવાશીઓ ની નજરે જંગલ ની અજાયબીઓ નિહાળતા આમે ટાપુ ની પાછલી તરફ પહોચ્યા. અહી પાણીમાં વિશિષ્ટ પ્રકારે ઉભા વાસડા ની વચ્ચે જાળ પાથરી રાખેલ. બહુ ધ્યાનપૂર્વક જોવા છતાં માછલીઓ પકડવાની આ અટપટી લગતી રીત સમજાઇ નહિ, જે છેલ્લે દિવસે સમજાઇ. દ્વીપનો વર્તુળાકારે આંટો મારી પાછા આવ્યા.

જાન્યુઆરી મહિનામાં કલકત્તાથી નીકળ્યા ત્યારે ગુલાબી ઠંડી હતી માટે ગરમ કપડા વગેરે સાથે લાવેલ પણ અહીં ગરમી હતી. તંબુની અંદર ઉકળાટ થતો હતો અને બહાર હવા તદ્દન નદારદ હતી. વીજળી-પંખા વગર આવી ગરમી માં કેવી રીતે રહી શકાશે તેની ચિંતા માં હતા ત્યાં અચાનક જોશભેર પવન વીંઝાવા માંડ્યો. તંબુ નો કપડાનો દરવાજો જોશભેર ફફડવા માંડ્યો. પૂછતાં જણાયું કે અહી દિવસ માં બે-ત્રણ વખત આવું બને. ક્યારેક કલાકો સુધી પવન ગતીપુર્વક ફૂંકાય અને ક્યારેક જરાય પવન ન હોય.

બપોરે જમ્યા બાદ તંબુ ની બહાર એક વૃક્ષ ને છાંયડે ખાટલો નાખી થોડી ઊંઘ ખેચી કાઢી. સાંજે બોટ દ્વારા હનીમુન આઈલેન્ડ જેવું રંગીન નામ ધરાવતા ટાપુ પર સુર્યાસ્ત નિહાળવા પહોચ્યા. અહી વર્ષો પહેલા એક નવાબે પોતાના માટે નહાવાનો મોટો કુંડ બનાવેલો. તે વર્તમાનમાં ગંદા પાણીથી ભરાયેલો હતો.

હનીમુન આઈલેન્ડ પહોચ્યા ત્યારે આકાશ રૂ ના ગોટા જેવા શ્વેત વાદળોથી છવાયેલું હતું અને સુરજ વાદળો પાછળ સંતાયેલ હતો. દૂર ક્ષિતિજ પાસે આકાશ લાલાશ પકડી રહ્યું હતું. અમે ધેર્ય પૂર્વક સૂર્યદર્શન માટે વાટ જોઈ રહ્યા હતા, પરંતુ સૂર્યદેવતાએ અમારા જેવા તુચ્છ માનવીઓના આનંદ માટે વાદળની ઓટમાંથી બહાર આવવાની તસ્દી ન લીધી.

આકાશ હળવાશ થી કેસરી રંગ ધારણ કરી રહ્યું હતું અને સાથે સરોવર નું પાણી પણ લાલાશ પકડી રહ્યું હતું. આકાશ અને પાણી બંને સમાન રંગે રંગાઈ ને એકાકાર થઇ રહ્યા હોય તેવો આભાસ થઇ રહ્યો હતો.તેમની વચ્ચે ઉભેલી નાની ટેકરીઓ જાણે તેમને એક બીજામાં ભળી જતા રોકવાનો મિથ્યા પ્રયાસ કરી રહી હતી. અદભૂત દૃશ્ય હતું.

                         બીજો ભાગ વાંચવા અહી ક્લિક કરો (દ્રિતીય ભાગ)


By: Jasmin Rupani


                                                           Protected by Copyscape Original Content Checker

Friday 3 August 2012

સાથે જમે તે સાથે રહે



યાદ છે એ દિવસો, જયારે જમવાનો સમય ફક્ત પેટ ભરી ને વાનગીઓ આરોગવા નો જ નહિ, મન ભરી ને વાતો કરવા નો પણ રહેતો? જયારે રોટલી અને શાક સાથે અનુભવ થી પકવેલી શીખ  પણ પીરસતી? ગરમા ગરમ દાળ-ભાત સાથે આખા દિવસ માં બનેલી ઘટનાઓ નો સાર પણ પીરસાતો?

આજે આપણે સહપરિવાર સાથે જમવાના તે જાદુ ને વિસરી ચુક્યા છીએ. પિતા પોતાના રૂમ માં ટીવી પર ક્રિકેટ મેચ કે સમાચાર જોતા જમે છે, માં બીજા ઓરડા માં ફોન પર વાત કરતા કે ટીવી પર સીરીયલ જોતા જમે છે અને બાળકો આઈ-પોડ કાને વળગાળી સંગીત સંભાળતા કે પછી કોમ્પ્યુટર પર ગેમ્સ રમતા જમે છે. પરિણામે સાથે બેસીને જમવું તે જુનવાણી પ્રથા બની ગઈ છે. એવી પ્રથા જેનું ધીમે ધીમે મરણ થઇ રહ્યું છે. 

વર્તમાન સમય માં મોટા ભાગ ના માણસો સબંધો માં જીવે છે ખરા, પરંતુ એ સબંધો ઉપરછલ્લા, તકલાદી, અને સ્વાર્થી બનવા લાગ્યા છે. પરિવાર માં આજે વિવિધ સબંધો કાગળ ના ફૂલ જેવા બની ગયા છે જે દેખાવે સુંદર લાગે પણ તેમાં સુગંધ નદારદ હોય. સહપરિવાર ભોજન આરોગવાનો મૂળ હેતુ આ નબળા થઇ રહેલા સ્નેહ્સબંધ ને મજબૂત કરવાનો છે.
આજ ના જેટ યુગ માં આખા પરિવાર માટે સાથે બેસીને જમવાનો સમય કાઢવો તે કપરું કાર્ય છે, પરંતુ કોશિશ કરીને તે માટે નિયમિત સમય ફાળવવામાં આવે તો તેના અનેક ફાયદા છે. સહપરિવાર જમણ એક બીજા પ્રત્યેની ઉષ્મા અને પ્રેમ વધારે  છે અને પોતીકાપણા  નો અનુભવ કરાવે છે. સાથે બેસીને જમવું તે એક પ્રકાર નું વેક્સીન છે જે બાળકો ના જીવન માં આવનારી નાની મોટી મુશ્કેલીઓ સામે આગોતરી સુરક્ષા પ્રદાન કરે છે. 

જમતી વખતે નો વાર્તાલાપ પરિવાર ના નાના સદસ્યો ને મોટા પાસે થી ઘણું બધું શીખવાની બહુમૂલ્ય તક આપે છે. એકબીજા સાથે નો મનમેળ વધારવાની તક આપે છે. સાથે વિતાવેલો થોડોક પણ બહુમૂલ્ય સમય સદસ્યો ને આખા દિવસ માં બનેલી ઘટનાઓ એકબીજા સાથે ચર્ચવા નો મોકો આપે છે. આ ચર્ચા વિચારણા માં થી બાળકો વાર્તાલાપ કેવી રીતે આગળ વધારવો, નાની મોટી મુશ્કેલી ઓ નો સામનો કેવી રીતે કરવો તે જાણતા અજાણતા શીખે છે. બીજા ના મંતવ્ય ને માન આપતા અને બીજા ના ગમા-અણગમા પ્રત્યે સભાન રહેતા શીખે છે. બાળકો માં આહાર ની સારી આદતો કેળવાય છે. આપણા માં માન્યતા છે કે ટીનએજર્સ ને પોતાના પરિવાર સાથે રહેવું ગમતું નથી, તેમને તેમના મિત્રો સાથેજ વધુ ફાવે છે. તે જરા વધુ પડતું છે. ટીનએજર્સ ને પણ પરિવાર ની ઓથ ની જરૂર હોય  છે. જમતી વખતે સાથે વિતાવેલો સમય તેમની આ જરૂરિયાત ને પૂરી કરે છે. 

જાણીતા અંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઈમ્સ ના એક રીપોર્ટ પ્રમાણે જે પરિવાર નિયમિત સાથે જમે છે તેના બાળકો ની ધુમ્રપાનદારૂ અને ડ્રગ્સ ની લતે ચડવા ની શક્યતા નજીવી થઇ જાય છેડીપ્રેશન માં આવવાની શક્યતા પણ ઘટી જાય છે. કોલમ્બિયા યુનીવર્સીટી નું એક સર્વેક્ષણ બહુજ રસપ્રદ વાત જણાવે છે. જે બાળકો નો પરિવાર સાથે જમે છે તે બાળકો નું પરીક્ષા નું પરિણામ બીજા બાળકો કરતા સારું આવાની શક્યતા ચાલીશ ટકા જેટલી વધી જાય છે. 

પરિવાર ની સાથે જમવું તે સમગ્ર દિવસ ની સૌથી મહત્વપૂર્ણ ઘટના બની શકે છે. તે માટે કેટલીક વાતો ધ્યાન માં રાખવી જરૂરી છે. વાર્તાલાપ હળવો અને રમુજી હોવો જોઈએ. બની શકે ત્યાં સુધી તેમાં શિખામણો, ફરિયાદ અને કડવી વાતો નો શમાવેશ ન થવો જોઈએ. સાથે વિતાવેલો સમય આનંદદાયક હોવો જોઈએ. નાના માં નાના સદસ્ય ને પોતાની વાત કહેવા નો મોકો મળવો જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વાત, જમણ માં વાનગીઓ કરતા વ્યક્તિઓ ને વધારે મહત્વ અપાવું જોઈએ.  

By: Jasmin Rupani



                                                           Protected by Copyscape Original Content Checker